Tuesday, August 3, 2010
Saturday, August 1, 2009
પ્રિસ્ક્રિપ્શન
૨. નિરાશાની એક કેપ્સ્યુલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફકત
કંપની જુદી છે.)
૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.
૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.
૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું. (એ મેસર્સ મજનુ એન્ડ રાંઝાને ત્યાં મળે છે.)
૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.
૭. યાદ બહુ જલદ દવા છે. પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, માટે ચાલુ કામકાજમાં ભેળવીને
લેવી.
૮. અઠવાડિયે એક વાર એકસપાયરી ડેટ પછીનું ઈશ્કનું ઈન્જેકશન લેવું.
૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.
૧૦. આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.
સહી
અનરજિસ્ર્ટડ પોએટ્રી પ્રેકટિશ્નર
- હેમેન શાહ
Monday, June 29, 2009
ચાલ મન !
વૃક્ષ કદાચ એમ પણ કહે -
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું.’
કોયલ કદાચ આગ્રહ રાખે -
‘કોઇ સરસ જગ્યા જોઇ મને ફ્લેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું’
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઇ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઇએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે !
- વિપિન પરીખ
Thursday, January 22, 2009
એ લોકો
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય
ત્યારે વાર વાર વેચે છે.
એ લોકો ધાનના ગોદામો ભરી રાખે છે.
પછી જ્યારે ભૂખ્યા માણસ સડી જાય
ત્યારે કિલો કિલો વેચે છે.
એ લોકો દવાની શીશીઓ ભરી રાખે છે.
પછી જ્યારે માણસ મરી જાય
ત્યારે ટીપે ટીપે રડે છે
એ લોકો નથી – એ તો છે
ચલણી નોટો ખાતી ઉધઈ.
મારે કવિ નથી થવું – મારે તો થવું છે
ઊધઈ મારવાની અસરકારક દવા.
– પ્રિયકાન્ત મણિયાર
Saturday, January 10, 2009
તારા દીપોત્સવી અંક ઉપરના શ્રીનાથજી ઉપર ભૂલથી પગ પડી ગયો.
પણ શ્રીનાથજી એ ચીસ પાડી નહિ
મેં તરત જ એમના પર હાથ ફેરવી આંખ પર લગાડ્યો.
પણ સાચુ કહું?
હું ઘણો અસ્વસ્થ થઇ ગયો.
જાતજાતના કેતા બિહામણા સ્વપ્ના આવી ગયા
આમ તો જાણું છું -
આવતી કાલે આ બધાં શ્રીનાથજી પસ્તીમાં વેચાશે
અને પસ્તીવાળો વાણિયો વજન જોખતાં ચાલાકીથી
શ્રીનાથજીનું પલ્લુ આઘુ પાછું કરી દેશે
અને ત્યારે પણ શ્રીનાથજી કશું નહી બોલે
અને હા,મને યાદ આવ્યું
ગયા વર્ષે અમારા પાડોશી એ સંડાસની બારીના તૂટેલા કાચની જગ્યાએ
શ્રીનાથજી નુ કેલેન્ડર બેસાડેલું
ત્યારે પણ શ્રીનાથજીએ ક્યાં બૂમ પાડી હતી?
- વિપિન પરીખ
Wednesday, January 7, 2009
ઈશ્વરની છાતી ફુલાતી
ન માછલી સ્વિમિંગ પૂલ જાતી,
ખુશબોએ વાયરાનું ટયૂશન કયાં રાખ્યું છે
તો પણ એ કેવી ફેલાતી.
ભમરો વિશારદ નથી તોય ગાય
કહે ફૂલોને કાનમાં પતંગિયાં,
બેટરીનું ખાનું વિજ્ઞાન નથી જાણતા
તો પણ શું ચમકે છે આગિયા.
ઝરણાઓ પૂછીને ભૂસકાં ન મારતાં
કેટલીક મળવાની ખ્યાતિ.
ઝાડવાંઓ યોગાસન શીખ્યાં નથી જ
છતાં ઊભાં અઠંગ એક ચરણે,
કીડી મંકોડાને ચિંતા કયાં હોય છે
કોણ મારી દીકરીને પરણે.
ઈર્ષા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે
એ લોકો એમની હયાતી.
પર્વત પણ બી. એ., બી. એડ. નથી તોય
એની વાદળ સુધીની છે પહોંચ,
માણસ શું શીખ્યાં કે માણસાઈ લંગડાતી
મનમાં પહેરી જાણે મોચ.
આપણને નહીં એ લોકોને જોઈને
ઈશ્વરની છાતી ફુલાતી.
- મુકેશ જોષી
Sunday, December 28, 2008
કે મારે વહેવું નથી
તો ઍ થીજી ગઈ હોત.
પર્વતે જીદ પકડી કહ્યું હોત
કે મારે અડીખમ રહેવું નથી
તો એ ઢગલો થઈને ઢળી પડ્યો હોત.
તરણાઍ જીદ પકડી કહ્યું હોત
કે મારે પ્રકટવું નથી
તો ઍ અંધારામાં ધરબાઈ ગયું હોત.
કેવી ખુશનસીબ છે મીરાં
કે ઍણે આંબલિયાની ડાળ પકડી લીધી
અને એ નદી થઈને વહેવા લાગી
ગિરિ-ધરને હૈયે રહેવા લાગી
ને તરણાની આંખે આકાશને જોવા લાગી.
-સુરેશ દલાલ
Wednesday, December 24, 2008
એક પ્રશ્નપત્ર
2. અને આમ તો તમે ય મારી વાટ જુઓ છો,કેમ, ખરું ને…
‘હા’ કે ‘ના’માં જવાબ આપો.
3. (આવ, હવે તો ભાદરવો વરસાદ થઈને આવ, મને પલળાવ !)
કૌંસમાં લખ્યા પ્રમાણે કરો.
4. નાની પ્યાલી ગટગટ પીને ટાઢા પેટે હાથ ફેરવી હું તો જાણે બેઠો’તો, ત્યાં તમને જોયાં.
તમને જોઈ તરસ્યો તરસ્યો તરસ્યો થ્યો છું : રસ-આસ્વાદ કરાવો.
5. શ્વાસોચ્છવાસો કોના માટે? કારણ પૂરાં પાડો.
6. છેકાછેકી બને તેટલી ઓછી કરવી.
(સાફસૂથરો કોરોકટ બસ તને મળ્યો છું)
7. ‘તમને હું ચાહું છું, ચાહીશ.’ કોણે,કયારે,કોને,આવી પંક્તિ(નથી)કહી?
8. હવે ખુલાસો. આ લો મારું નામ લખ્યું કાગળ પર, તેને ચૂમો. નહિતર કેન્સલ વ્હોટ ઈઝ નોટ
એપ્લીકેબલ.
- ઉદયન ઠક્કર
મને મારી ભાષા ગમે છે,
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-વિપિન પરીખ
Monday, December 22, 2008
એકલવાયો
ધસી રહી છે એ સભાઓ
- જેમાં હું ગયો નથી.
મારા પુણ્યમાં પ્રબળ
રહ્યાં છે એ પાપો
- જે મેં કર્યાં નથી.
મારી ગતિમાં
જે વળાંકે વળ્યો ન હતો
એ તરફનો ઝોક છે.
નથી આચરી શક્યો
એવા અપરાધોના સિંદૂરથી રચાયો છે
મારી નિર્દોષતાનો અરીસો.
મને એકાંતપ્રિય માનતા મિત્રોને હવે કેમ સમજાવું
કે હું એકલવાયો છું !
- હરીન્દ્ર દવે
Thursday, December 18, 2008
મારે કવિતા લખવી નથી.
મારે તો લખવો છે કાગળ
-સરનામા વિનાનો,
મારા નામ વિનાનો !
તું યાદ આવે છે એટલે
હું કાગળ લખતો નથી.
હું કશુંક ભૂલવા માંગુ છું
એટલે કાગળ લખું છું.
- સુરેશ દલાલ
Tuesday, December 16, 2008
Sunday, December 14, 2008
કવિતા
ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.
- જયન્ત પાઠક
કવિતા ન કરવા વિશે કવિતા
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય -
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
- એટલે કે કશું થાય જ નહીં !
- જયન્ત પાઠક
Thursday, December 11, 2008
આવતા ભવે
મને છોડીને ચાલી તો ન ગઈ
તેં મને
અનેક મનુષ્યોની વચ્ચે
વકીલોના સહારે
કોર્ટમાં બદનામ પણ ન કર્યો
ન તો ક્યારેય આક્રોશ કર્યો
ન ફરિયાદ કરી
માત્ર એક દિવસ વાતવાતમાં
તું આટલું બોલી ગઈ -
‘આવતા ભવે પતિ તરીકે તમે તો નહીં જ !’
-વિપિન પરીખ
તારા વિના
Monday, December 8, 2008
પહેલાં કવિતા લખવી ઘણી સરળ હતી
પહેલાં કવિતા લખવી ઘણી સરળ હતી
ઘરનાં આંગણે
પીપળાની ડાળીઓથી ઉછળીને
આવતાં જતાં બાળકોની થેલીઓથી
નીકળીને
રંગ બેરંગી
ચકલીઓની ચિં ચિં
માં ઢળીને
કવિતા જયારે મારા ઘેર આવતી હતી
મારી કલમથી જલ્દી જલ્દી
પોતાને પૂરે પૂરી વર્ણવી જતી હતી
હવે બધાં દ્ર્શ્યો બદલાઇ ચુકયાં છે
નાનાં નાનાં ત્રિભેટેથી
પહોળા માર્ગો બની ચુકયા છે
મોટી મોટી બજારો
જુની ગલીઓ અને શેરીઓની ગળી ચુકી છે
કવિતાને મારા વચ્ચે
હવે ઘણૂં લાંબુ અંતરછે
આ માઇલોના લાંબા અંતરમાં
ક્યાંક અચાનક બૉમ ફૂટે છે
માંઓ ની કુંખમાં પોઢેલ બાળકો ડરી ઉઠે છે
ધર્મ અને રાજકરણ મળીને
નવા નવા નારાઓ ઉછાળે છે
ઘણાં શહેરો ,ઘણા દેશો પસાર કરી
જયારે કવિતા મારા ઘર પર પ્રવેશ કરે છે
એટલી થાકેલી હોય છે કે
મારા લખવાન ટેબલ પર
કોળા કાગળને કોળોજ છોડી દઇને
વિદાય થઇ જાય છે
અને કોઇ ફૂટપાથ પર જઇને
શહેરના સૌથી વયો વૃધ્ધ માણસ ની આંખોની પાંપણે
અશ્રુ બની ને
સૂઇ જાય છે.
- નીદા ફાઝલી
(ઉર્દૂ માંથી ગુજરાતીમાં અનુવાદ_વફા)
ઘર તમે કોને કહો છો?

જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
-નિરંજન ભગત
Sunday, December 7, 2008
ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?
એક રવિવારની સાંજે
અમે બસ આમ જ ચર્ચામાં ઊતરી પડ્યા:
‘ક્યો માણસ જિંદગીમાં સફળ થાય છે ?’
એકે કહ્યું, ‘એ જ માણસ સફળ થાય છે -
જે પોતાના ધ્યેય પાછળ રાતદિવસ મંડી રહે છે.’
તો બીજો કહે: ‘જે સંજોગોને સમયસર ઝડપી લે છે
તે જ સફળ થાય છે.’
તો વળી કોઈ કહે: ‘ગમે તે હો ભાગ્ય વિના અહીં
કોઈને કશું મળતું નથી.’
પણ એકે જે કહ્યું તે સાંભળીને બધા હસી પડ્યા.
એણે કહ્યું:
‘સફળ માણસો કવિતા નથી લખતા.’
-વિપિન પરીખ


